૧લી જાન્યુ.એ કેન્દ્રીય મંત્રીના હસ્તે સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે  

jainshilpsamachar

૧લી જાન્યુ.એ કેન્દ્રીય મંત્રીના હસ્તે સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે  

Jainshilp Samachar : સુરત : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે તા.૧લી જાન્યુઆરીથી સુરત એરપોર્ટથી વેન્ચુરા એરકનેક્ટની આંતરરાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ કરાશે. પ્રારંભના અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ઉડ્ડયન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી વિનોદભાઈ મોરડીયા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ વિશેષ ઉપસ્થિત રહેશે. 
આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનારી સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ લિ. તા.૧ જાન્યુ.૨૦૨૨ થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી; આ ૪ સેક્ટર પર દૈનિક ફ્લાઈટ શરૂ કરશે. રાજ્ય સરકાર દ્વારા એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેકટ સાથે રાજ્યમાં વિવિધ શેહેરોને પરસ્પર હવાઈમાર્ગે જોડવા માટે કરાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રારંભ થનાર આ હવાઈસેવા દુનિયામાં સૌથી સુરક્ષિત કેટેગરીમાં સામેલ એવા સેસના ગ્રાન્ડ કેરેવાન દ્વારા પૂરી પાડવામાં આવશે. 
વેન્ચુરા દ્વારા વિમાન ૯ પેસેન્જર અને ૨ પાઈલોટ સાથે ઉડાન ભરશે અને સેકટર પ્રમાણે સુરતથી ભાવનગર ૩૦ મિનિટમાં, સુરતથી અમરેલી ૪૫ મિનિટમાં, સુરતથી અમદાવાદ ૬૦ મિનિટમાં અને સુરતથી રાજકોટ ૬૦ મિનિટમાં સફર પૂર્ણ થશે. રાજ્ય સરકારના સહયોગથી શરૂ થઈ રહેલી આ ઝડપી હવાઈસેવાનો ઈમરજન્સીના સમયે વૃદ્ધ-અશક્તો માટે તો ફાયદો થશે જ, સાથોસાથ ઉદ્યોગો, અને પ્રવાસનને પણ મોટો લાભ થશે. આ એરલાઈન્સનો તમામ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે પ્રારંભિક ધોરણે સંપૂર્ણ જાન્યુઆરી મહિના માટે તમામ સેકટર માટે એકસમાન રૂ. ૧૯૯૯ ટિકિટ દર રખાયો છે. સમારોહમાં મેયર હેમાલીબેન બોઘાવાલા, રાજ્યના ઉડ્ડયન વિભાગ સચિવશ્રી હારિત શુકલા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક, સુરત એરપોર્ટ ડાયરેકટર અમન સૈની, કેપ્ટન અજય ચૌહાણ CEO ગુજસેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.