શ્રી સર્વોદય સેવા છઠ ઘાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમરોલી તાપી નદી કિનારે મા છઠ પૂજા મહોત્સવ શાંતિપૂર્ણ સંપન્ન

30થી 40 હજાર લોકો માટે વિશેષ રીતે વ્યવસ્થા કરવામાં આવી

જૈનશિલ્પ સમાચાર, સુરત

અમરોલી તાપી નદી કિનારે સ્થિત શ્રી સૂર્ય મંદિર, છઠ ઘાટ પર 30મી ઓક્ટોબરના રોજ રવિવારે શ્રી સર્વોદય સેવા છઠ ઘાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા છઠ પૂજા મહોત્સવ ધૂમધામથી મનાવવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં હજારોની સંખ્યામાં બિહારના લોકો જોડાયા હતા. ટ્રસ્ટના પ્રમુખ શ્રીકાંત પંડિતે જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉપપ્રમુખ અવધેશ શર્મા, સચિવ તારાસન ઠાકુર, સલાહકાર રામલાલ પંડિત, સહ સલાહકાર નંદકુમાર પંડિત, કોષાધ્યક્ષ અભિમન્યુ કુમાર, સહ કોષાધ્યક્ષ જગમોહન પંડિત તથા સંયોજક રામદિન યાદવના સહયોગથી આ છઠપૂજા મહોત્સવ મનાવવામાં આવ્યો હતો. છઠ પૂજા મહોત્સવ અંગેની જાણકારી આપતા વધુમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રીકાંત પંડિતે જણાવ્યું કે ગત 15 વર્ષથી શ્રી સૂર્ય મંદિર છઠ ઘાટ પર શ્રી સર્વોદય સેવા છઠ ઘાટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મા છઠ પૂજા મહોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. 30મી ઓક્ટોબર રવિવારના રોજ સંધ્યા અર્ધ તથા 31મી ઓક્ટોબર સોમવારે સૂર્યોદય અર્ધ અર્પણ કરી મહોત્સવ મનાવવામાં આવ્યો. છઠ પૂજા મહોત્સવમાં 40 હજારથી વધુ લોકોએ જોડાઈને આસ્થાના દર્શન કરાવ્યા હતા. આ કારણે ટ્રસ્ટના સેવાભાવી કાર્યકરોની સૂઝબુઝની સાથે છઠ ઘાટ પર વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. છઠપૂજા મહોત્સવ દરમિયાન સાંજે 4 વાગ્યાથી જ માનવ મહેરામણ રૂપી કિડિયારું ઊભરાવાનું શરૂ થઈ ગયું હતું. આ મહોત્સવમાં રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે ઉપસ્થિત રહી લોકોને શુભકામના પાઠવી હતી. ડોક્ટરો, વકીલો તેમજ પોલીસની કામગીરીને કારણે આ સમારોહ શાંતિપૂર્ણ સંપન્ન થયો હતો.