SGCCI ના પ્રતિનિધિ મંડળે તેહરાન ખાતે આયોજિત ‘ઈરાન એક્ષ્પો ૨૦૨૫’ અને ઈરાન ખાતેના ભારતીય રાજદૂત સાથે મુલાકાત કરી

sgcci-1-5-2025

SGCCI ના પ્રતિનિધિ મંડળે તેહરાન ખાતે આયોજિત ‘ઈરાન એક્ષ્પો ૨૦૨૫’ અને ઈરાન ખાતેના ભારતીય રાજદૂત સાથે મુલાકાત કરી

સુરતના ડેરી પ્રોડક્ટ્સ, કેળાં, કેરી, હર્બલ, આદું જેવા શાકભાજી અને ફળોને ઈરાન એક્ષ્પોર્ટ કરી શકાય તથા ઈરાનથી કિવી, સફરજન જેવાં ફળોને ભારતમાં મોકલી શકાય તે દિશામાં પ્રયાસો કરાશે

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના SGCCI ગ્લોબલ કનેક્ટના સીઈઓ શ્રી પરેશ ભટ્ટ સહિતના ૨૦થી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે તેહરાન ખાતે આયોજિત ‘ઈરાન એક્ષ્પો ૨૦૨૫’ની મુલાકાત લીધી હતી. સાથે જ ઈરાન ખાતેના ભારતીય રાજદૂત સાથે પણ મુલાકાત કરી હતી.

તેહરાન ખાતે આયોજિત ‘ઈરાન એક્ષ્પો ૨૦૨૫’ની મુલાકાત દરમિયાન SGCCIના પ્રતિનિધિ મંડળે વિવિધ ફૂડ એગ્રીકલ્ચર, માઈનિંગ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને હેન્ડીક્રાફ્ટ વિભાગની મુલાકાત લઈને તે પ્રોડક્ટ વિશે જાણકારી મેળવી હતી. સાથે જ એક્ષ્પોમાં ઉપસ્થિત ઈરાનના ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરી ઈરાનમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે એક્ષ્પોર્ટની રહેલી તકો વિશે માહિતી મેળવી હતી. તેમજ ભારતથી સુરતના ડેરી પ્રોડક્ટ્સ, કેળાં, કેરી, હર્બલ, આદું જેવા શાકભાજી અને ફળોને ભારતથી ઈરાન તથા ઈરાનથી કિવી, સફરજન જેવાં ફળોને ભારતમાં મોકલી શકાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.  

આ મુલાકાતમાં સુરતના ચોર્યાસી વિસ્તારના ધારાસભ્ય અને સુરત એપીએમસીના ચેરમેન શ્રી સંદિપ દેસાઈ, શ્રી જિગર દેસાઈ (આજાજી ફાર્મ), સુરત એપીએમસીનું પ્રતિનિધિ મંડળ અને સુમુલ ડેરીના શ્રી જયેશ દેલાડ અને સુમુલ ડેરીનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયું હતું.

તેહરાન ખાતેના ભારતીય રાજદૂત શ્રી રૂદ્રા ગૌરવ શ્રેષ્ઠ અને તેમની ટીમ સાથે મુલાકાત કરી, ઈરાન-ભારત વચ્ચેના વ્યાપારિક સંબંધો વધુ મજબૂત કેવી રીતે કરી શકાય તે અંગેની માહિતી મેળવી હતી. ભારતીય રાજદૂતે ઈરાન સાથેના ગુજરાતના બિઝનેસમાં વૃદ્ધિ થાય તે માટેના પ્રયાસો કરવા માટે બાંહેધરી આપી હતી. 

આ ઉપરાંત, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલા દ્વારા આગામી સમયમાં ચેમ્બર દ્વારા આયોજિત થનાર એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે પ્રતિનિધિ મંડળ થકી આમંત્રણ સુપ્રરત કરવામાં આવ્યું હતું. જેનો ભારતીય રાજદૂત શ્રી રૂદ્રા ગૌરવ શ્રેષ્ઠ અને તેમની ટીમની સાથે ઈરાનના ઉદ્યોગ સાહસિકો દ્વારા સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો.