લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલા લોકોનાં પરિવારજનોને રાહત અપાવતા મોરારિબાપુ
latthakand
![લઠ્ઠાકાંડ બાદ અસહાય બનેલા લોકોનાં પરિવારજનોને રાહત અપાવતા મોરારિબાપુ](https://jainshilpsamachar.com/uploads/images/2022/08/image_750x_62e9e7b05bab0.jpg)
જૈનશિલ્પ સમાચાર, સુરત
બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના કેટલાક ગામોમાં વધારે પડતા કેમિકલવાળો ઝેરી દારૂ પીવાથી 57 જેટલા લોકોએ પ્રાણ ગુમાવ્યા હતા. અનેક લોકોએ હોસ્પિટલોના બિછાને રહેવું પડ્યું હતું. જ્યારે આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોના માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવું સર્જન થયું હતું. એક તરફ ઘરની મહત્વની વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે આખો પરિવાર ભાંગી પરવારતો હોય છે. પરિવારજનોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હોય છે. ઝેરી દારૂના કારણે જેણે પ્રાણ ગુમાવ્યા તે ઘટના નિંદનીય છે. સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે, પરંતુ પરિવારની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક? આથી મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટનામાં માર્યા ગયેલાઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી દરેક મૃતકના પરિવારજનોને રૂપિયા 5000ની તાત્કાલિક સહાય પહોંચાડવા જણાવ્યું હતું. બે લાખ પચાસ હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રુબરુ જઈ પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારિબાપુએ પુન: એક વખત ફરી આ કરુણ ઘટનાને કારણે જે પરિવારો નિ:સહાય બન્યા છે તેમનાં પરત્વે વિશેષ સંવેદના વ્યક્ત કરી હતી.