વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘની વિરમગામ એપીએમસી ખાતે બેઠકનું આયોજન કરાયું

jainshilp samachar

વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘની વિરમગામ એપીએમસી ખાતે બેઠકનું આયોજન કરાયું

વિરમગામ : વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘની વિરમગામ એપીએમસીમાં એક બેઠકનું આયોજન કરાયું હતું. દરમિયાન મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્ય કરાયા બાદ કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. આ બેઠકમાં વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘના પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના પત્રકારોનું સન્માન કરાયું હતું. આ બેઠકમાં ગુજરાત પત્રકાર સંઘના પ્રમુખ બી આર પ્રજાપતિની ભારતીય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે નિમણૂંક થતા સન્માન કરાયું હતું. મહામંત્રી બાબુભાઈ ચૌધરી, જર્નાલિસ્ટ વેલફેર ટ્રસ્ટના ચેરમેન યશવંતભાઈ મહેતા, વિરમગામ માંડલ દેત્રોજ પત્રકાર સંઘના નવનિયુક્ત પ્રમુખ જયદીપભાઇ પાઠક સહિત ગુજરાત પત્રકાર સંઘના વિવિધ હોદ્દેદારો, વિરમગામ માંડલ દેત્રોજ તાલુકાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિરમગામ એપીએમસીના ચેરમેન લખુભા ચાવડા તથા વાઇસ ચેરમેન રમેશભાઇ કોળી પટેલ તરફથી જરૂરી વ્યવસ્થાઓ કરાઈ હતી. યશવંતભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, મેં ધોરણ ૪ અને ૫ નો વિરમગામમાં અભ્યાસ કર્યો છે. મુનસર તળાવના કિનારે લંગોટ પહેરીને કસરત પણ કરી છે એટલે હું પણ વિરમગામનો જ છું. વિરમગામમાં વાંચનનો પાયો નાખ્યો છે. મારા ઘડતરમાં વિરમગામનું મહત્વનું યોગદાન છે. ગુજરાત પત્રકાર સંઘ સાથેનો પત્રકારોએ સંબંધ પ્રોફેશનલ નહીં સામાજિક પારિવારિક પણ રાખવો જોઈએ. ગુજરાતી પત્રકારત્વ અને ૨૦૦ વર્ષ થયા છે. બીઆર પ્રજાપતિએ કહ્યું કે, ગુજરાત પત્રકાર સંઘને ૬૦ વર્ષ પૂરા થયા છે. ગુજરાત પત્રકાર સંઘ સાથે ગુજરાતના ખ્યાતનામ પત્રકારો લેખકો જોડાયેલા છે. પત્રકારોનું સંગઠન થાય તે ખૂબ જ મહત્વની અને જરૂરી બાબત છે. આપણે પત્રકાર ધર્મ, પત્રકાર સંગઠનને મજબૂત બનાવી અને પત્રકાર ધર્મનું પાલન કરીએ. બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વિરમગામ માંડલ દેત્રોજ ત્રણેય તાલુકાની પત્રકારોને એકતા જોઈને આનંદ થયો. દરેક પત્રકારોએ સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે જે કામ કરીએ છીએ તે દરેક વ્યક્તિ કરી શકતી નથી. દરેક પત્રકારે માનવતાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ.