દેવાદારોના ત્રાસથી આત્મહત્યા કરવાની રાજકોટમાં પ્રથમ ઘટના, વ્યાજે આપનારાને હતો દેવાદારોનો ત્રાસ

દેવાદારોના ત્રાસથી આત્મહત્યા કરવાની રાજકોટમાં પ્રથમ ઘટના, વ્યાજે આપનારાને હતો દેવાદારોનો ત્રાસ

રાજકોટમાં ઉછીના રૂપિયા આપીને એવો તો ફસાયો કે તેણે આત્મહત્યા કરવા સુધીનું પગલુ ભરવું પડ્યું હતું. સોની વેપારીએ ઉછીના આપેલા 75 લાખ આપવાને બદલે 37 લાખ રૂપિયા માટે ગિરવે મૂકેલા સોનાના દાગીના પરત માંગવા માટે દબાણ કરવા લાગ્યા અને સોની વેપારીના દીકરાના અપહરણની ધમકી આપતા હતા. પોલીસે હાલ આત્મહત્યા માટે મજબૂર કરનાર પરિવારના બે મહિલા સહિત ચારની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.સૂત્રો અનુસાર રાજકોટના કરણસિંહજી મેઇન રોડ પર રહેતા રમેશ લોઢિયા નામના સોની વેપારીએ એક પરિવારના ત્રાસથી ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. તેઓએ આત્મહત્યા કરી ત્યારે 11 પાનાની એક સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં રાયજાદા પરિવાર દ્વારા ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસને જે સ્યુસાઇડ નોટ મળી તેમાં રમેશભાઇએ લખ્યું છે કે, તેઓને શહેરના આશાપુરાનગરમાં રહેતા શોભનાબા રાયજાદા અને તેના પતિ કૃષ્ણસિંહ રાયજાદા સાથે વ્યાપારીક સબંધ હતો. જેના કારણે તેઓએ કટકે કટકે 75 લાખ રૂપિયા જેટલી રકમ ઉછીના પેટે આપી હતી. જે બાદ થોડા વર્ષો પહેલા કૃષ્ણસિંહને વઘારે રૂપિયાની જરૂર પડી હતી. જેથી શોભનાબાએ પોતાના દાગીના આપીને 37  લાખ રૂપિયા ઉછીના આપવા કહ્યું હતું. જે અંગે રમેશે સોનાના દાગીના ગીરવે મૂકીને રાયજાદા પરિવારને 37 લાખ રૂપિયા આપ્યા હતા. જો કે સમય જતા શોભનાબા અને તેના પતિ રમેશ પાસે તેના દાગીના પરત માંગવા લાગ્યા અને પરત નહિ આપે તો તેના દીકરાનું અપહરણ કરશે તેવી ધમકી આપવા લાગ્યા. રમેશને રાયજાદા પરિવાર પાસે 1 કરોડથી વધુ રકમ લેવાની નીકળતી હોવા છતા તે આપવાને બદલે તેને ધાક ધમકી આપવા લાગ્યા હતા. જેના કારણે રમેશે ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજા અનુસાર રમેશભાઇના આત્મહત્યા અંગે તેમના પત્ની વૈરાગીબેને ફરિયાદ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની 8 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે શોભનાબા કૃષ્ણસિંહ રાયજાદા, કૃષ્ણસિંહ રાયજાદા, દિવ્યાબા રાયજાદા અને દિલીપસિંહ રાયજાદાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે રમેશભાઇએ જે સ્યુસાઇડ નોટ લખી છે. તેના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવશે અને રાયજાદા પરિવારને ક્યારે અને કઇ રીતે કેટલા રૂપિયા આપવામાં આવ્યા તેની પણ તપાસ હાથ ધરાશે. રૂપિયા આપનારને દેવાદારોનો એટલો ત્રાસ હતો કે તેને મરવા માટે મજબૂર થવું પડ્યું છે અને બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આ કેસમાં પોલીસ તપાસમાં શું બહાર આવે છે તેના પર બધાની મીટ મંડાણી છે.