કોસાડ આવાસ પાસે બુટલેગરોના માણસોએ કર્યો તલવારથી હુમલો

jainshilp samachar

કોસાડ આવાસ પાસે બુટલેગરોના માણસોએ કર્યો તલવારથી હુમલો

ભીમરત્ન મહાબુદ્ધ વિહાર નજીક દારૂ પીનારાઓને અગાઉ ટકોર કરી હતી, જેની અદાવતમાં આજ રોજ તલવારથી કર્યો હુમલો

ભીમરત્ન મહાબુદ્ધ વિહારના સંચાલકના પુત્ર પર કરાયો હુમલો

સુરત ઃ કોસાડ આવાસ સ્થિત એચ-4 નજીક આવેલા ભીમ રત્ન મહાબુદ્ધ વિહારના સંચાલક રતનભાઈ આર. નિકુમના પુત્ર ભીખાભાઈ નિકુમ ઉપર બુટલેગરોના માણસોએ તલવારથી હુમલો કરી ઘાયલ કરી દેતા સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
અમરોલી કોસાડ આવાસ ખાતે આવેલા એચ-4માં નવયુવક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ભીમરત્ન મહાબુદ્ધ વિહાર આવેલું છે. આ વિહારના સંચાલક રતનભાઈ આર. નિકુમ છે. રતનભાઈ આર. નિકુમે જણાવ્યું હતું કે અગાઉ આ બુદ્ધ વિહાર નજીક બે બુટલેગરોના માણસો દારૂની પાર્ટી કરી રહ્યા હતા અને બીભત્સ ગાળાગાળી કરી રહ્યા હતા આ સંદર્ભે તેમના પુત્ર ભીખાભાઈ રતનભાઈ નિકુમે તેમને ટોક્યા હતા અને અહીં દારૂ નહીં પીવા જણાવ્યું હતું. જે અંગેની અદાવત રાખીને આજ રોજ તા. 11મીને બપોરના અરસામાં જ્યારે રતનભાઈ આર. નિકુમ કોર્ટમાં કોઈક કામ અર્થે ગયા હતા ત્યારે તેમના પુત્ર ભીખાભાઈ ઉપર તલવાર અને ડંડા વડે હુમલો કરી તેને પગના પાછળના ભાગે તલવાર મારી દીધી હતી અને લાકડાના ફટકા તેમજ ડંડાથી માર મારીને ઘાયલ કરી દીધા હતા. રતનભાઈ આર. નિકુમ તેમના પુત્રને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા છે જ્યાં તેમના દીકરાની સારવાર ચાલી રહી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી સ્મીમેર હોસ્પિટલમાં હજી સુધી પોલીસ પહોંચી નથી તેવું જાણવા મળે છે.