લોક અદાલતમાં કુલ 1497 કેસનો સમાધાન પૂર્વક નિકાલ કરાયો

jainshilp samachar

લોક અદાલતમાં કુલ 1497 કેસનો સમાધાન પૂર્વક નિકાલ કરાયો

ગણદેવી સિવિલ કોર્ટમાં શનિવારે આયોજિત જનરલ લોક અદાલતમાં સિવિલ કોર્ટ અને બેંકો, જીઈબી, બીએસએનએલ તેમજ અન્ય પ્રિલિટીગેશન કેસો મુકાયા હતા. જેમાંથી લોક અદાલતમાં કુલ 1497 કેસનો સમાધાનપૂર્વક નિકાલ કરાયો હતો. કેસોનું સમાધાન થતાં પક્ષકારોએ હાશકારો અનુભવ્યો હતો. પ્રિલીટીગેશન લોક અદાલતમાં બેંક ઓફ બરોડા, બરોડા ગુજરાત ગ્રામિણ બેંક, યુનિયન બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક, ઇન્ડિયન ઓવરસિસ બેંક તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમીટેડ અને બીએસએનએલ તેમના કેસ આ પ્રિલીટીગેશન લોક અદાલતમાં મુક્યા હતા. તેમાં કુલ 364 કેસોમાં સમાધાન થયું છે. આ કેસોમાં સમાધાનની રકમ રૂ.27,48,968/- થઈ હતો.

જ્યારે સિવિલ કોર્ટ, ગણદેવીમાં મુખ્ય સિનિયર સિવિલ જજ એમ. પી. મહેતાની કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ, સિવિલ કેસ, મેટ્રીમોનિયલ કેસ તેમજ સ્પેશિયલ સિટિંગ થઈને કુલ 443 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. તેમજ એડિશનલ સિનિયર સિવિલ જજ એસ. એ. પઠાણની કોર્ટમાં કુલ 690 કેસોનો નિકાલ કરાયો હતો. જનરલ લોક અદાલતમાં ગણદેવી બંને સિનિયર સિવિલ કોર્ટ તેમજ બેંક અને જીઈબી, બીએસએનએલના પ્રિલિટીગેશન કેસ મળીને કુલ 1497 કેસોનો સમાધાનપૂર્વક નિકાલ કરાયો હતો.

આ લોક અદાલતમાં મુખ્ય સિનિયર સિવિલ જજ એમ. પી. મહેતા, એડિ. સિનિયર સિવિલ જજ એસ. એ. પઠાણ, ધારાશાસ્ત્રીઓ, પક્ષકારો, બેંક મેનેજરો, તાલુકા કાનૂની સેવા સમિતિના પેનલના વકીલ, કન્સિલિયેટર તરીકે વકીલ જે. વાય. નાયક, બી. યુ. પટેલ, પી. એસ. કંસારાએ સેવા પ્રદાન કરી હતી.