નાળ સાથે એક દિવસીય નવજાત શિશુને ત્યજી દેવાયું

નાળ સાથે એક દિવસીય નવજાત શિશુને ત્યજી દેવાયું

સુરત : પલસાણાના બગુમરા ખાતે ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે.
નવી સિવિલથી મળેલી વિગત અનુસાર પલસાણાના બગુમરા ખાતેના જી. જે. બ્રધર્સ નામના પેટ્રોલ પંપ પાસેથી એક દિવસીય નવજાત શિશુ મળી આવ્યું હતું. આ અંગે ૧૦૮ને કોલ મળતા એમ્બ્યુલન્સ ત્યાં ધસી ગઇ હતી. ત્યારે નવજાત બાળકની નાળ પણ કપાઈ નહોતી અને મેલી સાથે કપડામાં લપેટીને ફેંકી દેવાયું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોઈ ઇએમટીએ ઓક્સિજન પર મૂક્યો હતો અને તરત સારવાર માટે સુરત નવી સિવિલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને એઆઇસીયુમાં દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, બાળકની નાળ સુદ્ધાં કપાઈ નહીં હોવાથી બાળકને જન્મતા જ ત્યજી દીધું હોવાની સંભાવના છે. જયારે નવરાત્રિના દિવસમાં નવજાત બાળકને ત્યજી દેતા લોકો ત્યજનાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. બનાવ અંગે પલસાણા પોલીસ તપાસ કરી રહી છે.