SGCCI દ્વારા એર ઇન્ડિયા કાર્ગોના ઓફિશિયલ્સ સાથે મિટીંગ યોજાઇ

Sgcci Official meeting

SGCCI દ્વારા એર ઇન્ડિયા કાર્ગોના ઓફિશિયલ્સ સાથે મિટીંગ યોજાઇ
  • સુરતના વેપારીઓ માટે સુરતથી ડોર ટુ ડોર ડોમેસ્ટીક કાર્ગોની સુવિધા ઉપલબ્ધ કરાવવા ચેમ્બર પ્રમુખે એર ઇન્ડિયા કાર્ગોના ઓફિશિયલ્સને રજૂઆત કરી
  • સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મિનલ માટે ચેમ્બર તથા એર ઇન્ડિયા કાર્ગો દ્વારા એરપોર્ટ ઓથોરિટીને સંયુકતપણે રજૂઆત કરાશે : ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૭ ફેબ્રુઆરી, ર૦રપના રોજ સાંજે ૪:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે એર ઇન્ડિયા કાર્ગોના ઓફિશિયલ્સ સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એર ઇન્ડિયા કાર્ગોના ચીફ મેનેજર શ્રી સંજીવ શર્મા અને શ્રી શેખર મોહંતી તથા વેસ્ટર્ન રિજીયનના લીડ કાર્ગો ઓપરેશન્સ શ્રી જોશુઆ ફર્નાન્ડીઝ તથા સુરતની કાર્ગો ઓપરેશન્સ ટીમના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ટેક્ષ્ટાઇલ્સ, ડાયમંડ, જેમ એન્ડ જ્વેલરી, કેમિકલ અને ઝીંગા ઉદ્યોગ ડેવલપ થયો છે ત્યારે સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ એર કાર્ગો ટર્મિનલ જુદા – જુદા ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે તેમ છે. અત્યારે સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટીક કાર્ગો સર્વિસની સુવિધા ઉદ્યોગોને મળી રહી છે, પરંતુ ડોમેસ્ટીકમાં જો ડોર ટુ ડોર સર્વિસની સુવિધા ઉદ્યોગ – ધંધાઓને આપવામાં આવે તો બિઝનેસ વધી શકે તેમ છે, આથી તેમણે એર ઇન્ડિયા કાર્ગોના ઓફિશિયલ્સને ડોર ટુ ડોર સર્વિસની સુવિધા ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હવે સુરત એરપોર્ટથી દુબઇ અને બેન્કોક માટે ઇન્ટરનેશનલ ફલાઇટ્‌સ દરરોજ ઉડાણ ભરે છે, આથી એરપોર્ટ ઓથોરિટીએ સુરત એરપોર્ટ ખાતે ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મીનલની સુવિધા ઉભી કરવી જોઇએ. સુરતથી ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, જ્વેલરી, ઝીંગા તેમજ અન્ય માલ – સામાન માટે ઇન્ટરનેશનલ કાર્ગો ટર્મીનલની જરૂરિયાત છે. આ સંદર્ભે ચેમ્બર દ્વારા અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી. ભવિષ્યમાં આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એર ઇન્ડિયા કાર્ગો સાથે મળીને સંયુકતપણે રજૂઆત કરીશું.

એર ઇન્ડિયા કાર્ગોના ચીફ મેનેજર શ્રી સંજીવ શર્માએ જણાવ્યું હતું કે, સુરતથી ડોમેસ્ટીક કાર્ગો માટે ઘણી જગ્યા છે અને તેમના દ્વારા ડોમેસ્ટીક કાર્ગોને વધારવામાં આવશે. ચેમ્બર પ્રમુખશ્રી દ્વારા ડોર ટુ ડોર સર્વિસ વધારવા માટે કરેલા અનુરોધના સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા કાર્ગો દ્વારા સુરત એરપોર્ટ ખાતે ડોમેસ્ટીક કાર્ગોની સર્વિસને વધારવા માટે ચારથી પાંચ એજન્ટોને નિમવામાં આવ્યા છે. સુરતના વેપારીઓ આ એજન્ટો થકી તેઓના માલ – સામાનની ભારતમાં ડોર ટુ ડોર ડિલીવરી કરી શકે છે. વધુમાં તેમણે એર ઇન્ડિયા કાર્ગોની આખા ભારતમાં તેમજ અન્ય દેશોમાં ઉપલબ્ધ કાર્ગોની સર્વિસ વિષે વિસ્તૃ જાણકારી આપી હતી.

એર ઇન્ડિયા કાર્ગોના વેસ્ટર્ન રિજીયનના લીડ કાર્ગો ઓપરેશન્સ શ્રી જોશુઆ ફર્નાન્ડીઝે જણાવ્યું હતું કે, પહેલા ગોવાના મોપા એરપોર્ટ ખાતેથી ઇન્ટરનેશનલ કાર્ગોની સુવિધા ન હતી ત્યારે તેઓએ ત્યાં રસ લઇને ઇન્ટરનેશનલ કાર્ગો માટેનું પ્રાવધાન કરાવ્યું હતું. હવે તેઓને સુરતથી એર કાર્ગો માટે રસ પડયો છે. સુરતથી દુબઇ અને બેંગકોક માટે ઇન્ટરનેશનલ ફલાઇટ ઉડાણ ભરે છે ત્યારે બેલી થકી દરરોજ સુરતના વેપારીઓની પ્રોડકટને દુબઇ અને બેંગકોક ખાતે લઇ જવા તૈયાર છીએ, માત્ર કસ્ટમ્સ નોટિફિકેશનની રાહ જોવાઇ રહી છે. વધુમાં તેમણે કહયું કે, કસ્ટમ્સ નોટિફિકેશન મેળવવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે અને વહેલી તકે તેઓને કસ્ટમ્સ નોટિફિકેશન મળવાની આશા છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા, વેપારીઓ અને મર્ચન્ટ એક્ષ્પોર્ટર્સ ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના પૂર્વ પ્રમુખ શ્રી રજનિકાંત મારફતિયાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની એવીએશન/એરપોર્ટ કમિટીના એડવાઇઝર શ્રી મનોજ સિંગાપુરીએ સમગ્ર મિટીંગનું સંચાલન કર્યું હતું. જ્યારે કમિટીના ચેરમેન શ્રી લિનેશ શાહે મિટીંગ વિષે માહિતી આપી હતી. એર ઇન્ડિયા કાર્ગોના ઓફિશિયલ્સે વેપારીઓ તથા મર્ચન્ટ એક્ષ્પોર્ટર્સના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ મિટીંગનું સમાપન થયું હતું.