ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ‘A Journey From Clicks to Sales in the Tours & Travel Business’ વિષય પર સેમિનાર યોજાયો
A-Journey-From-Clicks

સોશિયલ મીડિયામાં માર્કેટીંગ માટે વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂકથી આગળ વધીને Linkedin, મની માર્કેટ, વેબ સાઈટ બ્રાઉઝ જેવા વિકલ્પો વિશે વિચારવું જોઈએઃ iVIPANAN ના સંસ્થાપક અને ડિજિટલ માર્કેટીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ શ્રી ભૌતિક શેઠ
સુરતઃ એક તરફ ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી ગળાકાપ હરીફાઈનો સામનો કરી રહી છે અને બીજી તરફ ઓનલાઈન બિઝનેસનો વ્યાપ વધતો જાય છે તેવા સંજોગોમાં સાઉથ ગુજરાતના ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ ઉદ્યોગકારો પોતાના વ્યવસાયમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકે અને નવી ટેકનોલાજી સાથે તાલ મેળવી શકે તે હેતુથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મંગળવાર, તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સાંજે ૦૫:૩૦ કલાકે, સમૃદ્ધિ બિલ્ડિંગ, નાનપુરા, સુરત ખાતે ‘A Journey From Clicks to Sales in the Tours & Travel Business’ વિષય પર સેમિનાર યોજાયો હતો.
સેમિનારમાં iVIPANAN ના સંસ્થાપક અને ડિજિટલ માર્કેટીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ શ્રી ભૌતિક શેઠે ડિજિટલ માર્કેટીંગ થકી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ બિઝનેસમાં વૃદ્ધિ કરવાના વિવિધ પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, ‘ડિજિટલ પરિવર્તનનું આ યુગ એકદમ જોરદાર છે. આ યુગમાં, પર્યટન ઉદ્યોગ અવિશ્વસનીય ગતિએ વિકાસ પામી રહ્યો છે. જે પરંપરાગત, રૂબરૂ બુકિંગ પ્રક્રિયા હતી તે હવે માત્ર એક ક્લિકસ પર આવીને થંભી ગઇ છે. આખી દુનિયા, ઓનલાઈન પ્લેટફોર્મ પર જાણે સીમિત થઇ ગઇ હોય તેવો અનુભવ થાય છે. આજે, લોકો તણાવથી મુકિત મેળવવા અને હળવાશની પળો માણવા માટે નવા પર્યટનો સ્થળો શોધી રહ્યા છે, ત્યારે ટુર્સ એન્ડ ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં એક ક્લિકસથી ટુર પેકેજીસના વાસ્તવિક વેચાણમાં જાદુ થાય છે. ભલે તે ટાર્ગેટેડ માર્કેટીંગ, વ્યક્તિગત અનુભવો અથવા સીમલેસ બુકિંગ સિસ્ટમ્સ દ્વારા હોય. કદાચ, તમારી વેબસાઇટ બ્રાઉઝ કરવાથી લોકો તમારા કાયમ માટેના ક્લાયન્ટ બનવાની સંભાવના વધી જાય છે.’
iVIPANAN ના સંસ્થાપક અને ડિજિટલ માર્કેટીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ શ્રી ભૌતિક શેઠે જણાવ્યું હતું કે, ‘ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રના કસ્ટમરને ઓળખતા શીખવું જોઈએ. કારણ કે, વ્યક્તિની બિઝનેસ ટ્રિપ પર અને ફેમિલી સાથે ટ્રિપ પર જવામાં અનેક ગણો ફરક હોય છે. મોર્ડન માર્કેટીંગના સમયમાં બિઝનેસ કરતી વખતે ફંડામેન્ટલ્સ સ્પષ્ટ હોવા જોઈએ. ડિજિટલ પ્લેટફોર્મ પર ઓથેન્ટિસિટી દાખવવી મહત્વની છે. બ્રાન્ડ એટલે કે લોકો લોગોથી નહીં પણ કંપનીના વેલ્યુઝથી કંપનીને ઓળખે છે. ભારતમાં વેલ્યુઝનું ખૂબ જ મહત્વ છે. ટુર્સ એન્ડ ટ્રાવેલ કંપનીએ પોતાની કોર વેલ્યુઝને જાળવી રાખવી જોઈએ. પોતાના કસ્ટમરના રિવ્યુઝ સોશિયલ મીડિયા પર શેર કરવા જોઈએ, જેથી લોકોમાં વિશ્વાસની લાગણી નિર્માણ થવી જોઈએ. સોશિયલ મીડિયા થકી વધુને વધુ લોકો સાથે જોડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ટુર્સ એન્ડ ટ્રાવેલ સંસ્થાએ કસ્ટમરની સાથે પ્રવાસના પહેલા, પ્રવાસ દરમિયાન અને પ્રવાસ પૂર્ણ થયા બાદ પણ સંલગ્ન રહેવું જોઈએ. કસ્ટમર ટ્રાવેલિંગ દરમિયાન કોઈ પણ બાબતમાં મુશ્કેલી અનુભવે તો તેનું નિવારણ લાવવાનો તમે પ્રયાસ કરવો આ જ કસ્ટમરના મનમાં વિશ્વાસની લાગણી નિર્માણ કરે છે અને કસ્ટમર પોતાના આગામી પ્રવાસ માટે એ જ એજન્ટનો સંપર્ક કરે છે. ટ્રાવેલ કંપનીના માલિકે પોતાની વેબસાઈટ અથવા સોશિયલ મીડિયા પેજને એક કસ્ટમર તરીકે જોવું જોઈએ, જેથી ક્યા સુધારાઓ કરવા જોઈએ તેની જાણ થશે.’
સોશિયલ મીડિયામાં માર્કેટીંગ માટે વ્હોટ્સ એપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબૂકથી આગળ વધીને Linkedin, મની માર્કેટ, વેબ સાઈટ બ્રાઉઝ જેવા વિકલ્પો વિશે વિચારવું જોઈએ. ડિજિટલ માર્કેટીંગનું પ્લાનિંગ યોગ્ય હોવું જોઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૃપ ચેરમેન શ્રી સંજીવ ગાંધીએ વક્તાશ્રીનો પરિચય આપ્યો હતો તેમજ ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરની હોસ્પિટાલિટી, ટુર્સ એન્ડ ટ્રાવેલ કમિટીના ચેરમેન શ્રી વિનેશ શાહે કાર્યક્રમની રૂપરેખા આપી હતી, જ્યારે કમિટીના સભ્ય સુશ્રી અશિતા જરીવાલાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. અંતે, ઉપસ્થિતોના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો વક્તાશ્રી ભૌતિક શેઠ દ્વારા આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.