કતારગામમાં શ્રી સંત ભીમા ભોઈ જન્મોત્સવ તથા પરિચય મેળાનું આયોજન

jainshilp samachar

સુરત ઃ શ્રી સંત ભીમા ભોઈ નવયુવક મંડળ, વેડ રોડ દ્વારા બુધવારે કતારગામ, સિંગણપોર સ્થિત મનપાના કોમ્યુનિટી હોલ ખાતે સમાજના મહાન સંત શ્રી ભીમા ભોઈના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વર-વધૂ પરિચય મેળો તેમજ વિવિધ પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે શ્રી સંત ભીમા ભોઈ નવયુવક મંડળના પ્રમુખ અનિલ તાનકુએ જણાવ્યું હતું કે અમારું મંડળ છેલ્લા 8 વર્ષથી સમાજ માટે વિવિધ પ્રકારની સામાજિક, ધાર્મિક, સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે મંડળ દ્વારા કોઈ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ન હતું. હવે મહામારી અંકુશમાં આવી જતાં આ વર્ષે સમાજના મહાન સંત શ્રી ભીમા ભોઈના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બુધવારે સવારે 7 કલાકે ઘટ સ્થાપન-પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 કલાકથી પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યાર બાદ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોનું સ્વાગત કરાયા બાદ વર-વધૂ પરિચય મેળાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અંદાજે 2500થી વધુ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. મંડળ તરફથી અપંગ, વિધૂર, છૂટાછેડા લીધેલી વ્યક્તિઓ તેમજ વિધવા મહિલાઓના ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા મંડળના અગ્રણી સંજય દામુડોલે, રાકેશ સોમાજાવરે સહિત તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં બિહાર વિકાસ મંડળના પ્રમુખ પ્રભુનાથ યાદવ, વોર્ડ ક્રમાંક 8ના નગરસેવક સુવર્ણા જાધવ, જ્યોતિકા લાઠિયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત હતા.