કેન્દ્રીય વિદ્યાલય દ્વારા 'સંતુલિત અને ગુણવત્તાયુક્ત શાળાઓને પ્રોત્સાહન' વિષય પર વેબિનાર યોજાયો

કેન્દ્રીય વિદ્યાલય દ્વારા 'સંતુલિત અને ગુણવત્તાયુક્ત શાળાઓને પ્રોત્સાહન' વિષય પર વેબિનાર યોજાયો

સુરત: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, અમદાવાદ હેઠળના કેન્દ્રીય વિદ્યાલયોમાં 'સંતુલિત અને ગુણવત્તાયુક્ત શાળાઓને પ્રોત્સાહન' વિષય પર વેબિનાર યોજાયો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'શિક્ષણ પર્વ ઉજવણી-૨૦૨૧' ના ભાગરૂપે રાષ્ટ્રની પ્રગતિમાં શિક્ષકોના મૂલ્યવાન યોગદાનને સન્માનિત કરવાના હેતુથી અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી) -૨૦૨૦ને પ્રોત્સાહિત કરવાના આશયથી આયોજિત આ વેબિનારમાં ડેપ્યુટી કમિશનર (એઆર, ગાંધીનગર) જયદીપ દાસ અને અન્ય વહીવટી કર્મચારીઓ, વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.  કાર્યક્રમમાં શિક્ષણની નવીન પદ્ધતિઓને પ્રોત્સાહિત કરવા અને તમામ સ્તરે શિક્ષણનું સાતત્ય જળવાઈ રહે તેમજ દેશભરની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારા અંગે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. વેબિનારનું લાઇવ સ્ટ્રીમિંગ મૂળભૂત શિક્ષણ વિભાગના સચિવ શ્રીમતી અનામિકા સિંહના ઉદ્દબોધનથી થયું હતું. શિક્ષણ વિભાગના નાયબ સચિવ રાહુલ પચૌરી, યુદ્ધવીર ટંડન, દિલ્હી પબ્લિક સ્કૂલ, બેંગ્લોરના પ્રિન્સિપાલ મંજુ બાલાસુબ્રમણ્યમ, હેરિટેજ સ્કૂલ, નવી દિલ્હીના સહ-સ્થાપક મનીત જૈનએ વિચારો વ્યકત કર્યા હતાં. શાળાઓની ગુણવત્તાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત તેમજ વિદ્યાર્થીઓની સહભાગિતા પર ડેપ્યુટી કમિશનર (એઆર-ગાંધીનગર) શ્રી.જયદીપ દાસે ભાર મૂક્યો હતો. વેબિનાર પ્રશ્નો અને તેના જવાબો સાથે પૂર્ણ થયો હતો.